Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

શિક્ષક દિન, 5મી સપ્ટેમ્બર

Join Us On
Telegram

 શિક્ષક દિન, 5મી સપ્ટેમ્બર
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ



 'ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વર,
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:'




              શિક્ષક દિન ભારત દેશમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, ભારત દેશમાં શિક્ષક દિન દર વર્ષે ૫ (પાંચ) સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎ રાષ્ટ્રપતિ બનતા પહેલાં એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્ત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતાં. 

          ભારત દેશમાં ૫ (પાંચ) સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં શિક્ષકોના માનમાં  ૫ (પાંચ) ઑક્ટોબરના રોજ 'વિશ્વ શિક્ષક દિન'ની પણ ઉજવણી કરવામાં આવે છે.

          ૫ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન,  શિક્ષકોનું સન્માન, ઓળખ અને ઉજવણી કરવાનો દિવસ છે. શિક્ષક દિન એટલે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને  ભારત રત્ન એટલે કે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા.



             ભારત દેશમાં પાંચમી સપ્ટેમબરના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને એક આદર્શ શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધકૃષ્ણનની યાદમાં ઉજવવામાં આવે છે. શાળા કોલેજોમાં આ દિવસને જાહેર રજા તરીકે ના ઉજવતાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે, જેનાથી બાળકો શિક્ષકનું મહાત્મ્ય સમજે અને શિક્ષકોનો આદર કરતાં થાય.



શિક્ષક દિવસનો ઈતિહાસ :




               ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણન એક આદરણીય શિક્ષણશાસ્ત્રી હતા. એકવાર તેમના વિદ્યાર્થીઓએ તેમને આદરપૂર્વક પૂછ્યું, શું તેમને તેમનો જન્મદિવસ ઉજવવાની મંજૂરી આપશે ? ડો. રાધાકૃષ્ણને કોઈ વિશેષ ઉજવણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓને સૂચવ્યું હતું કે, તેઓ સમાજમાં તેમના યોગદાનને ઓળખવા માટે પાંચ સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવી શકે છે. આ રીતે શિક્ષક દિનની ઉજવણી શરૂ થઈ હતી. રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.





શિક્ષક દિનની ઉજવણીનું મહત્વ :



આપણી શાળા કૉલેજોમાં શિક્ષક દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને આદર કરતા થાય એ આશયથી આ દિવસે બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે ઉજવવમાં આવે છે. આ દિવસે ઉત્સાહી બાળકો શિક્ષકની ભૂમિકા નિભાવે છે.સવારની પ્રાર્થના સભાથી લઈને આખા દિવસની શાળાની જવાબદારી બાળકો જ સંભાળે છે. વર્ગખંડમાં કાર્ય કરવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે એનાથી વાકેફ થાય છે. જ્યારે એક વિદ્યાર્થી તરીકે પોતે પોતાના શિક્ષકની સૂચના નથી માનતા કે વર્ગખંડમાં શાંતિ નથી જાળવતા ત્યારે કોઈ શિક્ષકની મનોદશા કેવી હોય છે એનો જાતે અનુભવ મેળવે છે. આખો દિવસ શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ આ બાળકો પોતાના સહાધ્યાયીઓને વર્ગખંડમાં પડેલી મુશ્કેલીઓ અને આનંદની પળો વિશે જણાવે છે. શિક્ષક બન્યાનો ગર્વ અનુભવવાની સાથે સાથે તેઓ બીજા બાળકોને શિક્ષકોનો આદર કરવાની સલાહ પણ આપતા જાય છે.  આ ઉપરાંત શાળાઓમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુરુવંદના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ , જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધી મેળવનાર શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવે છે.



 શિક્ષકનું મહત્વ :





"शिक्षक कभी साधारण नहीं होता,

प्रलय और निर्माण उसकी गोद में पलते है।"



           ચાણક્યનું આ વાક્ય શિક્ષકનું ઘણું મહત્વ સમજાવી જાય છે. શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષક વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે. આપણા જીવનને યોગ્ય માર્ગે લઈ જવામાં શિક્ષક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા જ્ઞાન, કૌશલ્યો અને આવડતને જાણીને આપણી સફળતામાં સહભાગી અને માર્ગદર્શક બને છે. આપણો આત્મવિશ્વાસ વધારીને , આપણો આત્મવિશ્વાસ બનીને આપણને સફળતાના શિખરો સર કરાવે છે. એકડે એક ઘુંટાવવાથી લઈને જીવનમાં અનેક સંસ્કારોનું સિંચન કરે છે. માત્ર અક્ષરજ્ઞાન જ નહી પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષક હમેશાં ચિંતિત હોય છે. એક ડૉક્ટર , એક વકીલ , એક પ્રોફેસર , એક અધકારી કે એક સફળ ઉદ્યોગપતિના ઘડતરમાં શિક્ષકનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે. દેશના ભાવિ નાગરિકોના સર્જનનો પાયો એક શિક્ષકના હાથમાં છે. એક શિક્ષક જ છે જે હંમેશા પોતાના વિદ્યાર્થીઓની પ્રગતિથી ખુશ થાય છે. એક એક સફળ વિદ્યાર્થી એમના માટે એક વિશેષ પુરસ્કાર હોય છે. બીજાની સફળતા પર ગર્વ લેવો એ એક શિક્ષક હૃદય જ કરી શકે છે.



આપણે જાણીએ જ છીએ કે મહારાજા છત્રપતિ શિવાજીના જીવન ઘડતરમાં માતા જીજાબાઇનો જેટલો ફાળો હતો એટલો જ ફાળો તેમના ગુરુ દાદા કૌંડદેવનો પણ હતો. તેમને શિવાજીને યુદ્ધ માટે પારંગત બનાવ્યા હતા.  આજના આ દિવસે આપણે સ્ત્રી શિક્ષણના હિમાયતી માતા સાવિત્રીબાઈ ફૂલેને પણ ના ભૂલી શકીએ , જેમણે સ્ત્રી શિક્ષણનું મહત્વ સમજાવવા  સ્ત્રી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી હતી. તેઓ સ્ત્રીઓને ઘરે ઘરે જઈને શિક્ષણ આપતાં હતાં અને શિક્ષણનું મહત્વ સમજાવતાં હતાં. 





ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન :



           ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન  ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા. તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો. તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૬૨) અને દ્વિતિય રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.

           ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ, ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તામિલ નાડુનાં ચેન્નઈ (જૂનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિમાં વિત્યું હતુ. તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને માતાનું નામ સીતામ્મા  હતું. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.

         બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો. ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ૧૯૨૬માં હાવર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા.

        દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.

         ૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. સરમુખત્યાર જોસેફ સ્ટાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતા પણ રાધાકૃષ્ણનને બે વખત મળ્યાં. સ્ટાલિન-રાધાકૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું. ૧૯૫૨માં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતાં રાધાકૃષ્ણનને ભારત બોલાવી લેવાયા. અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો.

            જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.

          ડૉ. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસિટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસિટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસિટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે

         ૧૭મી એપ્રિલ, ૧૯૭૫ના રોજ  તેમનું અવસાન થયું હતું.




      ઉપસંહાર :



આપણા જીવન ઘડતર માટે મહત્વપૂર્ણ  યોગદાન આપનાર શિક્ષકોના ઋણને આપણે પણ ના ભૂલવું જોઈએ. એક આદર્શ વિદ્યાર્થી તરીકે આપણે પણ આપણા શિક્ષકનો આદર કરવો જોઈએ. વર્ગખંડમાં હમેશા શાંતિ જાળવવી જોઈએ. શિક્ષકોની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને એમણે આપેલા સંસ્કારોને જીવનમાં ઉતારવા જોઈએ. આપણે એક શિક્ષકના કાર્યને બિરદાવી ના શકીએ તો ચાલશે , એમના કાર્યમાં ક્યારેય ખલેલ ના પહોંચાડીએ એ એક નાગરિક તરીકે  આપણી જવાબદારી છે.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group